Thursday, June 29, 2006

beej margi sect - બીજ મારગી પંથ

અષાઢી બીજ સમગ્ર ગુજરાતમાં ધામધુમથી ઉજવાય છે અને કચ્છ અને સિંધ માં "અષાઢી બીજ" થી નવુ વર્ષ શરુ થાય છે.
અષાઢી બીજ નો ખરેખર આનંદ માણવો હોય તો એ છે સૌરાષ્ટ્ર કારણ કે સૌરાષ્ટ્ર માં "બીજ માર્ગી" ને માનવાવાળો વર્ગ વધુ છે.મેર.કોળી,રબારી,આયર,પટેલ,હરીજન,કુંભાર,સુતાર,લુહાર વગેરે જે કાટવરણી કે પછાત જ્ઞાતિ કહેવાય છે.
બીજ માર્ગ ની વિશેષતા એ છે કે આમાં જાત-પાત જોવાતી નથી અને "બાર પોરા પાટ" હોય કે પરસાદી એમાં 18 વર્ણનાં લોકો સાથે બેસી ઉજવે અને રાતે ભજન બોલે અને આ ભજન પણ તત્વજ્ઞાન ની સમજ આપતા હોય છે,આ ભજનોમાં સતી પાન બાઈ, સતી લોયણ. રુંપાંદે-માલદે, જેસલ તોરલ, સંત દેવીદાસ,સતી લીર બાઈ,ગોરા કુભાર,પીપા ભગત અને રામદેવ પીર કે જે બીજ માર્ગી હતા.
બીજ માર્ગ કે સનાતન ધર્મ ની સૌરાર્ષ્ટમાં સૌથી વધુ યોગદાન હોય તો તે છે કે બીજા પ્રદેશમાં જે રીતે ધર્માતરણ કે વટાળ પ્રવૃતિ 56 દુકાળ સમયે અને મુસ્લીમ શાસન વખતે થઈ તે સૌરાર્ષ્ટમાં ન થઈ.ઉદાહરણ તરીકે ગુજરાતમાં પછાત વર્ગ ને જે રીતે ખ્રીસ્તી બનાવામાં આવ્યાં 56 ના દુકાળ સમયે ત્યારે સૌરાર્ષ્ટમાં પરબ,સતાધાર અને આપા દાના ની જગ્યા "ચલાળા" માં ગરીબ વર્ગ ને "ઓટલો ને રોટલો " ની સેવા નિશુલ્ક આપી આખી પ્રજા ને ધર્માતરણમાંથી બચાવી અને બીજ માર્ગ ઉત્પન્ન પણ ગરીબ અને કચડાયેલા વર્ગમાંથી જ થયો કારણ કે આજથી 400 કે 500 વરસ પહેલાં જે રીતે આભડછેટ નો એરુ હિન્દુ સમાજ ને કરડયો તો ત્યારે પછાત વર્ગ એ પોતાનો એક અલગ ધર્મ સ્થાપ્યો જેમાં ગામઠી શૈલી માં ભજન, તંત્ર અને મંત્ર દ્રારા હિન્દુ સંસ્ક્રૃતિનુ રક્ષણ કર્યુ.

આજે આ બીજ મારગ માં જે ભજન ગવાય છે તેમાંથી એક જે દરેક બારપોરા પાટમાં સાંભળવાં મળે છે તે જોઈએ

બાર બીજનાં ધણીને સમરું, નકલંકી નેજાધારી રે,
ભજનના વાગે ભડાકા ભારી....
ધ્રૃવ રાજાને અમર રાખ્યો, પ્રહલાદ ઉગાર્યો પડકારી,
સંધ્યાકાળે દૈત્ય સંહાર્યો, હરીએ ન્હોર વધારી,
ભજનના વાગે ભડાકા ભારી.....
સતી રુપાંદેનું સત રાખવા, માળી બન્યાં છે મુરારિ,
માલે રુપાનાં હેરણા હેર્યાં,આરાધે મોજડી ઉતારી,
ભજનના વાગે ભડાકા ભારી....
તોળી રાણીએ ત્રણ નર તાર્યા,જેસલ ઘરડાની નાર,
સુધન્વાને બળતો ઠાર્યો, કકડતાં તેલ જ ઠારી,
ભજનના વાગે ભડાકા ભારી....
પળ પળ પીર રામદેને સમરું, તું છો મારે અલેક અવતારી,
દોઈ કર જોડી ભાઠી હરજી બોલ્યાં, ધણી ધાર્યો નેજાધારી,
ભજનના વાગે ભડાકા ભારી....
વાગે ભડાકા ભારી ભજનના વાગે ભડાકા ભારી રે હોજી,
ભજનના વાગે ભડાકા ભારી.....

Technorati : , , , , ,

1 comment:

Jitendrasinh Chauhan said...

શ્રી અશોકભાઈ, જય માતાજી...સીતારામ... અષાઢી બીજ વિષે આપેલી માહિતી ખુબજ રસપ્રદ છે. તેમજ તમો જે કાર્ય કરી રહ્યા છો તે ખુબજ વંદનીય છે. નહિતર આ સમયમાં સંસ્કૃતિની કેટલા ને પડી છે. અત્યારે તો બધા પશ્ચિમી સંસ્કૃતિની પાછળ ગાંડા બન્યા છે. માટે તમે હાલ સંસ્કૃતિનું જતન કરી રહ્યા છો તે કાર્ય ચાલુ જ રાખજો જેથી આવનાર નવી પેઢી જાણી શકે.